ભાવેણાની ધીંગી ધરા; જ્યાં નાત્યતેડું થાય,
નાત્યગંગામાં ડૂબકી દઈ; ખેડાવાળ ભીંજાય.
હે ખમીરવંત ! હે ખેડાવાળ ! જય બોલો ક્ષીરજંબમાતની,
ભાવેણાની ધરણી આજે ઝળહળ નોખીભાતની.
કલમ, ખડિયા, કડછાને અમે ગળથૂથીમાં પીધાં છે,
સાદગી, રખપત,હાથખેંચના સદાયે નર્તન કીધાં છે,
નિજ ગૌરવને કાજે પરવા ના કરતાં મિરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.
મયાબાપા ને નારણજીએ શિક્ષણ જ્યોત જલાવી'તી,
મનહરલાલ ને નરભેરામે ભાગવત ગાથા ગવરાવી'તી
ઋત્વિજોના મુખથી પ્રગટે સરવાણી સાક્ષાતની.
જય બોલો ક્ષીરજંબમાતની...
ધૂમકેતુએ અલીડોસાને દુનિયામાં પ્રસરાવ્યો'તો,
નાથાલાલે ભીની એ ધરતીને સાદ પડાવ્યો'તો,
સાક્ષરજનની કલમે વહેતી કવિતાઓ નિરાંતની.
જય બોલો ક્ષીરજંબમાતની.
બાલકૃષ્ણના કંઠે વહેલી ગીરકન્યા ભુલાતી નથી,
પ્રફુલ દવેના મણિયારાની હલક હજુ વિસરાતી નથી,
કંઈ કસુંબલ કંઠથી વહેતી હાંકલ છે મધરાતની.
જય બોલો ક્ષીરજંબમાતની....
સાથે મળીને કરશું વાતો યુવાના ઉત્થાનની,
જનજનના હૈયામાં પ્રગટે જ્ઞાતિના સન્માનની,
જ્ઞાતિના હરેક ક્યારામાં ઊગતાં એ પરભાતની.
જય બોલો ક્ષીરજંબમાતની.
- મુકેશ દવે
જામનગર
તા. ૨૪/૧૨/૨૦૨૪, મંગળવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો