શનિવાર, 2 મે, 2020

આસ્વાદ - ઈમ્તિયાઝ કાઝી


આંખમાં એવું શું ખટકે ?
હૈયું આખેઆખું બટકે !
ઠેકડા તેથી લગાવું !
ઝૂમ્ખું લાલચ કેરું લટકે.
એક સુખ ને બીજું સપનું
હાથમાં આવે ને છટકે.
આસપાસે છે છતાં પણ,
મોજની ખોજે સૌ ભટકે.
વીંટળાયા મોહપાશો,
નાખ તોડી એક ઝટકે.
- મુકેશ દવે
ટૂંકી બહેરની ગઝલમાં ઓછા શબ્દોમાં કાંઈક કહેવું એ પ્રમાણમાં વધુ કઠીન હોય છે. કવિ સંદેશો લાવનાર ટપાલી નથી કે સીધેસીધો ખુલ્લેઆમ સંદેશો આપીને ચાલ્યો જાય ! કવિ તો અદ્રશ્ય વાઇરસની જેમ આંતરમનમાં ઘૂસીને પોતાના શબ્દોનું કામણ એવું તો પાથરે કે ક્યારેક આંખોમાં બારે મેઘ ખાંગા થાય, તો ક્યારેક વલોણાની જેમ હૈયું ઘમરોળાય, તો ક્યારેક ઘંટીના બે પડ વચ્ચે દાણા દળાય એમ ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે આખેઆખો માણસ દળાય.
અહીં કવિ પ્રથમ શેરમાં જ આંખમાં કાંઈક ખટકવાની વાત કરે છે. આંખ અને હૈયાને સીધો જ સંબંધ છે. કણાની જેમ ખટકવું એવો રૂઢિપ્રયોગ પણ છે. મૂળે તો આંખ કોઈનું કંઈ સાચવતી નથી, એ હૃદયથી બિલકુલ વિરુદ્ધ રીતે વર્તે છે ! ઉદાસી હોય કે ઉલ્લાસ આંખમાંથી છતાં થયાં વિના રહેતા નથી અને હૃદય એવું છે કે ન જાણે કંઈ કેટલીય ગાથાઓને પોતાના ઊંડાણમાં સમાવીને એમ જ ધબકતું હોય છે ! હોઠ પર આવતાં સુધી કેટકેટલાં વર્ષો વીતી જતાં હોય છે, પણ આંખોનો હિસાબ તો સાવ રોકડો જ. એમાં ઉધાર જરાય ન ચાલે.
એટલે જ એક શેરમાં શૂન્ય કહે છે,
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનું રાજ્યાભિષેક છે.
એટલે કવિનો અભિપ્રેત સંભવિત એવો હોય શકે છે કે કોઈક બાબત એવી છે કે જે ઊંડે સુધી ખૂંચ્યા કરે છે , અને વાત માત્ર આંખોમાં ખટકવા સુધી સીમિત ન રહેતાં હૈયું આખેઆખું બટકતું હોય એવું અનુભવાય છે. તૂટવું અને બટકવું બન્ને બાબતો જૂદી છે. પીડા અનુભવવાની સ્થિતિ હજી ચાલુ હોય , ચોમેરથી અતીતના ઓછાયા આવીને અસ્તિત્વ પર એકસામટા એટેક કરે ત્યારે બટકવાની ઘટના સર્જાય. દર્દને વ્યક્ત થવા કવિ આંખ અને હૈયા પાસેથી કેવું ખૂબીથી કામ લઈ લે છે.
બીજા શેરમાં કવિ મિજાજ બદલીને જૂના સમયથી આવતી લૂચ્ચા શિયાળની વાત સાથે સંદર્ભ જોડી દે છે. દ્રાક્ષ માટે શિયાળ ઠેકડા લગાવે છે , પણ અંતે નિરાશ થઈને તે દ્રાક્ષને ખાટી કહે છે. માણસ પણ લોભ અને લાલચમાં ઠેકડા લગાવતો હોય છે , પણ અંતે હાથ કાંઈ આવતું નથી. શિયાળને તો બહુ વહેલું જ્ઞાત થઈ જાય છે કે આમ ઝાઝીવાર ઠેકડા લગાડવામાં ભલીવાર નથી, એટલે એ તો દ્રાક્ષને ખાટી કહીને પોતે વહેલું છૂટી જાય છે, પણ એક માણસ છે કે લાલચના ઝૂમખાંને કોઈ કાળે છોડવાનું નામ નથી લેતો !
ત્રીજા શેરમાં કવિ સુખને સપનાં સાથે સરખાવે છે. મીઠી ઊંઘમાં કોઈ મધુર સ્વપ્ન જોતાં હોઈએ અને એવું બને કે અચાનક આંખ ખુલી જાય ! સુખનું પણ એવું જ છે.
કવિ મનોજ ખંડેરિયાએ સિફતપૂર્વક કહ્યું છે કે,
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
સુખની શોધમાં બહાર ભટકતાં માણસને અંતે સમજાય છે કે સુખ તો ભીતર પડેલું હોય છે. એને શોધવાનું નથી હોતું, અનુભવવાનું હોય છે. પછીના શેરમાં કવિ એ વાત સ્પષ્ટ કરે છે. પ્રકૃતિનો એક અવિચળ નિયમ છે કે અહીં કશું કાયમ રહેતું નથી. પ્રભાત પછી સવાર અને મધ્યાહ્ન પછી સાંજ પડવાની જ છે.
બેફામ શું કહે છે,
તોય બેફામ કેટકેટલું થાકી જવું પડ્યું.
આમ તો રસ્તો હતો ઘરથી કબર સુધી,
જેઓ શોધવામાં રહ્યા છે તેઓ થાક્યા છે, અને જેમને ભીતરમાં એ અનુભૂતિ થઈ ગઈ છે તેઓ જીવી ગયાં છે . કહેવાય છે કે સિકંદર વિશ્વવિજેતા બનવાના સ્વપ્ન સાથે નીકળ્યો હોય છે ત્યારે ભારત આક્રમણ વખતે માર્ગમાં તેની મુલાકાત એક ફકીર સાથે થાય છે. ફકીરના તેજ અને આનંદને તે લાચાર બનીને નિહાળે છે. કહેવાય છે કે આ મુલાકાતની સિકંદર પર ભારે અસર થાય છે. તેના મૃત્યુ વખતે તે પોતાના બન્ને હાથ જનાજા ની બહાર રાખવાની વસિયત કરે છે.
છેલ્લા શેરમાં કવિ બધાં મોહપાશોને એક ઝાટકે તોડી નાખી આંતરમનમાં ડોકિયું કરવાનું કહે છે, એ માત્ર સલાહ નથી. પણ અનુભવોની એરણ પરથી મળેલો જ્ઞાનબોધ છે.
ગની દહીંવાળાએ કહ્યું છે,
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે , મુજ શત્રુઓ જ સ્વજન સુધી
કવિનું ભાવવિશ્વ ઠરેલ છે. અનુભવોની આંખોએ ઘણું જોયું છે, તુલસીદાસ જ્યારે મોહાંધ હોય છે ત્યારે સાપને નિસરણી સમજીને ચડે છે, પણ મોહપાશ છૂટતાં અમર રચનાઓનું સર્જન થાય છે.
ઈમ્તિયાઝ કે કાઝી
પુસ્તક પરબ માણાવદર
તા. ૦૧/૦૫/૨૦૨૦, શુક્રવાર

બુધવાર, 29 એપ્રિલ, 2020

શેરનો આસ્વાદ - ગોપાલ ધકાણ

નથી મળતું પ્રણય ત્રિકોણમાં એ મધ્ય બિંદુ,
કોઈ ભીંસાય છે કાયમ અહીં બે જણ વચાળે.
- મુકેશ દવે.

પ્રણય કવિતાનો એવર ગ્રીન વિષય રહ્યો છે. સ્થાપિતથી લઈને આજ દિવસ સુધીના નવોદિત કવિએ આ વિષયને પોતપોતાના દ્રષ્ટિકોણથી જોયો છે અને શબ્દો વડે ભાવક સુધી પહોંચાડયો છે. પ્રણયમાં બે જણાની વાતથી ઉપર ઉઠી અહીં કવિ કોઈ નવલકથાના પ્લોટ જેવું વાતાવરણ ઉભું કરે છે.
પ્રણય ત્રિકોણ શબ્દ જ આ શેરની સુંદરતાનો ભાર પોતે ઊંચકી લે છે. ત્રિકોણ ત્રણ બિંદુ વડે રચાય છે. જે ત્રણ વ્યક્તિનું પ્રતીક છે. જેમાં એક વ્યક્તિ એવી છે જેની પાસે બે વિકલ્પ છે જ્યારે બાકીની બે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. આ ત્રણ જણ વચ્ચે એમનાં સંબંધોનું , લાગણીનું કેન્દ્ર બિંદુ વારા ફરતી ફર્યા કરે છે. કોઈ કેન્દ્ર સ્થાન ફિક્સ થતું નથી. જેને લીધે જે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. એ એમનાં સ્થાને યોગ્ય છે. એમની લાગણીઓ , પ્રેમ વહાવે રાખે છે પણ જેની પાસે સામા બે વિકલ્પ છે જે બન્ને પોતપોતાના સ્થાન ઉપર યોગ્ય હોવાથી એ વ્યક્તિ આ બેમાંથી કોણ વધુ યોગ્ય એ બાબતે મુંજાય છે.
પ્રેમનું બીજું પાસું ત્યાગ છે. અહીં જો કે એવી કોઈ વાત કવિએ મૂકી નથી. પરંતુ આ ત્રણ બિન્દુમાંથી કોઈ એકને બાકી બન્નેના સુખ ખાતર સરી જવું યોગ્ય છે. માણસ હમેંશા વિકલ્પો મળતા મુંજારો અનુભવે છે. ખરો પ્રેમ પ્રિય પાત્રની ખુશી અને તેનું સુખ જોવાનો હોય છે. આપણને આ જવાબ વાસ્તવિક ઓછો અને ફિલ્મી વધુ લાગે એ શક્ય છે.
નથી મળતું શબ્દ જે તે વ્યક્તિની સતત મથામણ અને પ્રયત્નોને દર્શાવે છે. અહીં કેન્દ્ર બિંદુ શબ્દ મહત્વનો છે. જેની સાથે જોડાઈ શકાય અથવા જે પ્રણય ત્રિકોણની મુખ્ય વ્યક્તિ છે એ બન્ને અર્થ નીકળે. પરંતું જે કેન્દ્રમાં છે એ જ આ ભીંસ ભોગવી રહી છે. પોતે જ યથાયોગ્ય નિર્ણય લેવામાં પોતાની જાતને ધીમે ધીમે શિથિલ માનવા લાગે છે. જે તરફી ઢળવું છે તે માટે એને વિવેકબુદ્ધિ અને હૃદયની લાગણી બન્નેનો સુભગ સમન્વય સાધવો રહ્યો.
કવિએ બીજા મિસરામાં જે વાસ્તવિકતા મૂકી છે તે આંખ ખેંચે એવી છે. જ્યાં આવા પ્રણય ત્રિકોણ રચાય છે ત્યાં કોઈ એક વ્યક્તિને વલોણાની જેમ ભીંસમાં રહીને સમયને વલોવતું રહેવાનું છે. ત્યાંથી એ છટકી શકતી નથી.
મોટે ભાગે પ્રણય ત્રિકોણની શરૂઆતથી લઈને તેનો અંત પણ દુઃખદ હોય છે. ત્રણ બિંદુમાં ફરતો રહેતો પ્રણય કોઈ બે બિંદુ વચ્ચે સમય જતા પણ સ્થિર થતો નથી. તેથી સુખદ અંતની માત્ર આશા કરી શકાય પણ ખાતરી ન આપી શકાય. આ પ્રણય ત્રિકોણની પરિસ્થિતિમાં માણસ બાહ્ય કે આંતરિક દેખાવ, પ્રેમ કે દોસ્તી , સમૃદ્ધિ કે બુદ્ધિ ,પોતાના માટે વધુ યોગ્ય કે વધુ ફાયદાકારક જેવા પાસાઓને યોગ્ય રીતે મુલવતા શીખે છે.જે આગળ જતાં એના સંપૂર્ણ જીવનને પ્રભાવિત કરી શકે છે.
કવિશ્રી મુકેશ દવેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
✒️ ગોપાલકુમાર ધકાણ - અમરેલી
તા. ૨૩/૦૪/૨૦૨૦, ગુરુવાર

પરિચય - એમ્તિયાઝ કાઝી, માણાવદર

અમરેલીનો અણચાખ્યો કવિ
રજુ કર્તા :- ઈમ્તિયાઝ કે કાઝી - માણાવદર.
**************************************************************************
આજે એક એવા કવિની વાત કરવી છે , જેની કવિતા હજુ સુધી કોઈ પણ સામયિકમાં સંગ્રહમાં પ્રસિદ્ધ નથી થઈ, કે કવિએ એ માટે ક્યારેય ઈચ્છા વ્યક્ત નથી કરી કે પ્રયત્નો નથી કર્યા !
હા, સાહિત્યસર્જનનો જે મૂળ હેતુ છે કે નિજાનંદ માટે લખવું અને પછીથી એ પ્રસિદ્ધિના કોઈ પણ ભાવ વગર વહેંચી દેવું. કવિએ આ ધર્મ પિછાણ્યો છે અને નિભાવી જાણ્યો છે.
અમરેલી જિલ્લાનું આ રતન હાલમાં લીલીયા તાલુકાના ક્રાંકચ ખાતે માધ્યમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે, અને એક સુંદર અને સુઘડ વ્યક્તિત્વનું આચરણ આજીવન કર્યું છે. ક્રાંકચ બોલવામાં અને લખવામાં જેટલું અઘરું છે તેનાથી વિપરીત આ કવિનું હૃદય પામવું એટલું જ સહેલું છે.
મારી વ્યક્તિગત રીતે એમની સાથે મુલાકાત 2 વખત થઈ, માણાવદર ખાતે અમોએ શૈક્ષણિક અને સાહિત્યિક શિબિરનું આયોજન કરેલું ત્યારે સહજ ભાવે તેમણે આમંત્રણ સ્વીકારેલું અને શ્રોતાઓને તેમના કાવ્યોનું રસપાન કરાવેલું. ત્યાર બાદ મારા પિતાજીના અવસાન વખતે અમરેલી જિલ્લાના કવિવૃંદ સાથે મળવાનું થયું ત્યારે.
અલબત્ત, આટલી વિસ્તૃત ઓળખાણ આપવાનો હેતુ કવિની પ્રશસ્તિના ગુણગાન ગાવા હરગીજ નથી, પણ કવિને સમજ્યા પછી કવિતાને સમજવી ઘણી સરળ થતી હોય છે. !
શ્રી મુકેશ દવે સાહિત્ય જગતમાં આમ જાણીતું અને આમ અણચાખ્યું નામ છે. આજે તેમની કવિતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ.
કવિએ તેમના કાવ્યોના માધ્યમ દ્વારા જીવાતા જીવનના દ્રશ્યોનું, માનવમનની અવ્યક્ત થયેલ સંવેદનાઓનું માત્ર નિરૂપણ જ નથી કર્યું પણ તેમને ઉજાગર પણ કર્યા છે. કવિની દ્રષ્ટિ ખૂબ તીક્ષ્ણ હોય છે, તે એવું બધું જોઈ લે છે જે સામાન્ય રીતે લોકો નથી જોઈ શકતા. સ્થૂળથી સૂક્ષ્મ સુધી તે ફરી વળે છે. કવિની દ્રષ્ટિ પાતાળમાંના પાણીથી લઈને ગગનની ગેલેક્સી સુધી હોય છે અને તેમાં ઉમેરાય છે સંવેદનાઓ. એટલે જે ભાવચિત્ર રજૂ થાય એ વાંચકોને આંખ સમક્ષ દેખાય છે.
આ કવિનો પણ વિષયવૈવિધ્ય વિશાળ રહ્યો છે. પ્રકૃતિની સુંદરતાનું વર્ણન હોય, પ્રેમને વ્યક્ત કરવાની મીઠી મૂંઝવણ હોય, ફાટફાટ થતાં જોબનિયા ને કવિએ શબ્દદેહ આપવો હોય કે જીવાતા જીવનમાં વિપરીત પરિસ્થિતિ કે દારુણ ગરીબીની વાત હોય, કવિની કલમ એ જ પ્રવાહિતાથી આગળ વધે છે. આંતરિક ભાવોને બહાર લાવવામાં કવિની કુશળતા પણ સાથે પ્રગટ થાય છે. ભક્તિ ગીત હોય કે અછાંદસ કાવ્ય , ગઝલ હોય કે ગીત તમામ સ્વરૂપોમાં માત્ર બીબાઢાળ સર્જન નહિ પણ કવિની ખુમારી , મૌલિકતા અને આત્મસૂઝના દર્શન થયાં વિના રહેતા નથી.
કવિ એટલે જ આ રીતે વ્યક્ત થાય છે.
વીંખી - ફેંદી હૈયાસ્પર્શ્યું લોકલોકનું જીવતર
દલડે દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર
તો વળી , ક્યાંક કવિ આત્મશ્લાધાના ભાવ વગર પોતાનો પરિચય આમ આપે છે.
હું જોમવંતી ગઝલ ને હું રસભર્યું ગીત છું.
ને અછાંદસમાં પ્રગટતું તાલબદ્ધ સંગીત છું.
શબ્દચિત્રોમાં કવિએ પોતાની કલા અને જીવ રેડી દઈને એમને માત્ર ચિત્રો જ ન રહેવા દેતાં કાગળ પરથી ઉતરીને નજર સામેથી પસાર થતાં બતાવ્યા છે.
બોખા મોં એ ચગળાતું આ ગળચટટું જોબન
ઓરડાનું અંધારું ઓઢી છૂટું મેલ્યું ધન
બારસાખના તોરણ સઘળાં ફૂલો થઈને ખીલે
બચલી ડોશી સો વરસની તોય હજૂએ જીવે
અન્ય એક કાવ્યમાં
પાનના ગલ્લા પર ઢાળેલાં બાંકડે
ગુટખા ને ફાકી ગોઠવાયા
ટીવીમાં ગુંજતા નાચતા એ ગીતમાં
હવાતીયાં મારે ભૂરાયા
છલકતું બેડું એક નીકળ્યું ન નીકળ્યું ને
બાંકડો થયો તાતા થૈ
મૂઈ નજરુંને લગીરે શરમ આવી નૈ
કવિ માનવમનમાં ડોકિયું કરવાની ક્ષમતા ધરાવે છે , તો સાથે સાથે વિશ્વની લટાર લગાવી પોતાને થયેલા સારા નરસા અનુભવોને પોતાના પર સવાર થયા દીધા વગર પોતાના ધર્મને બરાબર પીછાણે છે.
આપણે કવિઓ , એક વહેતી નદી
કવિતા આપણું નીર, નિર્મળતા આપણું ખમીર
અને ક્યારેક તો સંસારની આ બધી દોડધામ અને ભાગદોડને ત્યજી ઘરે જવાની વાત કેવી સરળ રીતે કરે છે.
ચાલો મૂકીએ આ જંજાળ, ઘર ભણી જઈએ
કોઈ તો રાખે છે સંભાળ, ઘર ભણી જઈએ
અહીં કોઈ તો રાખે છે સંભાળ શબ્દપ્રયોગ પણ માર્મિક ટકોર સ્વરૂપે પ્રયોજાયો છે. કે જ્યારે જગત સ્વાર્થી બનીને માત્ર ઉપયોગ કરવામાં માનતું હોય ત્યારે આ વિશ્વમાં એક તો એવું જણ છે જે ઘરે રાહ જુએ છે.
પ્રતીક્ષામાં ઊભું બારણું, સ્મિત વેરી આંગણે
કેવા રાખીને ખુલ્લા વાળ, ઘર ભણી જઈએ
પ્રેમને આ કવિ કેટલી સરળ રીતે કવિતાઓમાં ઝીલે છે. જૂઓ
રોટલો વાસી હો તોય મીઠો હશે
માતના હાથમાં તાંસળી હોય છે
તો વળી,
વૃક્ષો સઘળાં માનો ખોળો
કલરવને સંભાળી બેઠાં
તો વળી, ક્યાંક
આંખમાં એવું શું ખટકે ?
હૈયું આખેઆખું બટકે !
ગઝલમાં ટૂંકી બહેરમાં પણ કવિ કેટકેટલું કહી દે છે.
કવિની આ શબ્દયાત્રા માત્ર સ્થૂળ બનીને રહી જતી નથી , પરંતુ એ વિશ્વયાત્રાએ નીકળેલા પ્રવાસીની યાત્રા બની રહે છે. આપણે ક્રમશ: આ યાત્રાને પુસ્તક પરબ માણાવદરના પ્લેટફોર્મ પર માણીશું. કવિની જ એક પંક્તિ દ્વારા વિરામ લઈએ.
મારું તારું સૌનું તારણ હોય છે
જન્મ એ મૃત્યુનું કારણ હોય છે
ઈમ્તિયાઝ કે કાઝી
માણાવદર.
તા. ૩૦/૦૪/૨૦૨૦, ગુરુવાર

શનિવાર, 11 એપ્રિલ, 2020

પ્રીતવછોઈ કન્યા - ગીત



ચપટી વગાડવાને આંગળીના ટેકામાં અંગૂઠો આવે છે જેમ,
એમ સખી એકલાંથી કેમ થાય પ્રેમ !!

અઢી અક્ષર સખી બોઝીલો એવો એને
ઊંચકવા બેઊ જણ જોઈએ,
બેઊ સંગાથે જો ઊંચકી લઈએ તો
વળી એકમેકમાં જાતને ખોઈએ,
પણ સૂનીસમ સીમમાં ભારો ચડાવવાને મળતીના કોઈની રહેમ.
એમ સખી એકલાંથી કેમ થાય પ્રેમ !!

હાથને ફેલાવતો - પ્રીતડીને પાથરતો
સપનામાં ઊગ્યો ભરથાર,
નજરોએ વાટ છેક દૂર લગ માંડી તો
સંભળાયો ઘેરો સૂનકાર,
વરસ્યા વિણ વાદળાંને જાતાં ભાળીને સૂકી ધરતી વલખતી હો કેમ !!
એમ સખી એકલાંથી કેમ થાય પ્રેમ !!
- મુકેશ દવે
અમરેલી
તા. ૧૧/૦૪/૨૦૨૦ શનિવાર

શુક્રવાર, 13 સપ્ટેમ્બર, 2019

નજરુંંનું જોબનિયું ગીત

જઈં ઓલી નજરુંનું જોબનિયું ફાટફાટ થાય,
તઈં  બીડેલી  પાંપણોની ભીંત  કૂદી   જાય.

ગલીઓ ને શેરીઓમાં આમતેમ દોડી
               કો'ક ડેલીની આરપાર ઝૂમે,
લીંપાતી ભીંતોમાં ઊગતી હથેળીઓને
                        હળવે પંપાળીને  ચૂમે,
કૂવો ઉંચકતાં ઓલા હિલ્લોળતાં બેડાંમાં છલક છલકાય,
જઈં ઓલી નજરુંનું જોબનિયું ફાટફાટ થાય.

નદીએ ભીંજાતી જોઈ સૂની એકલતાને
                       વંઠેલી નજરું વીંટળાતી,
માછલીની જેમ થોડી ડૂબકીઓ ખાઈ
      કૂણી પાનીઓની સાથે  અથડાતી,
નીતરતી ઝૂલ્ફોમાં ભીંજાતી પીઠ ઉપર ધીમેથી લપસિયા ખાય,
તઈં  બીડેલી  પાંપણોની ભીંત  કૂદી   જાય.
- મુકેશ દવે
અમરેલી
તા.૧૩/૦૨/૧૯૮૭
શુક્રવાર

રવિવાર, 25 ઑગસ્ટ, 2019

કાંઠાની રેતી - ગીત

ગીત
દરિયો છલકાય ને ભેખડે અથડાય ત્યારે,
                          કાંઠાની રેતી ભીંજાય.
દરિયો ઉભરાય ને મોજાં ઉછળાય ત્યારે,
                            કાંઠાની રેતી ઢંકાય.
પૂનમની રાતમાં ચાંદની રેલાય ત્યારે,
                          કાંઠાની રેતી ચમકાય.
અમાસી રાતમાં દરિયો ખેંચાય ત્યારે,
                            કાંઠાની રેતી મુંઝાય.
ઠંડી સવારમાં દરિયો ઘુમરાય ત્યારે,
                           કાંઠાની રેતી અટવાય.
તપતા બપોરમાં દરિયો અટવાય ત્યારે,
                           કાંઠાની રેતી શેકાય.
મસ્તી તોફાનમાં વાયરો વિંજાય ત્યારે,
                           કાંઠાની રેતીઅકળાય.
ઢળતી એ સાંજમાં દરિયો રેલાય ત્યારે,
                           કાંઠાની રેતી હરખાય.
                મૂકેશ ટી.દવે
"અનાગત"માંથી
આ કવિ 1983 માં કાંઠાની રેતીને આવી રીતે ગીતમાં ન્યાય અપાવતા...એમનું કવિત્વ અને કવિતત્વ ત્યારે પણ વખણાતું.જે હવે પૂરબહારમાં ખીલ્યું છે... સતીષ જે દવે

રવિવાર, 18 ઑગસ્ટ, 2019

ફરી પધારેલ જુવાની - ગીત

હજુ હમણાં અઢારમુ બેઠું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું. 


ધોળાધફ્ફ વાળ એ તો ભ્રમણાનું મૂળ 
                             એ મૂળિયાને મૂળમાંથી વાઢો,
અંગઅંગ ધબૂકે એ ધસમસ ધ્રુજારીની
                               ધણધણતી ડાળોને બાંધો,
દલડામાં ફાટફાટ દરિયા ઉભરાયા ને ગઢપણ રહ્યું છે બહુ છેટું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું.

આંખોમાં કલરવતાં પંખીઓ બેઠાં ને
                              કાનમાં જઈ શમણાંઓ ઊગે,
ચહેરાની સળુઓમાં ઝરણાં થ્યા વ્હેતાં
                              વળી નસનસમાં ગીત એના ગૂંજે,
દેહનો દેખાવ હવે ડોસલો ભલેને હોય એમાં અઢારમુ પેઠું.
બાવડેથી ઝાલીને મોતિયાના ઝાળાને આંખથી ઉતારોને હેઠું,
હજુ હમણાં અઢારમુ બેઠું.

- મુકેશ દવે
અમરેલી
તા.૧૮/૦૮/૨૦૧૯, રવિવાર