પ્રણયનું સરોવર છલોછલ નયનમાં.
વહે છે હૃદય ત્યાં સુરીલા કવનમાં.
વિહગ જેમ ઊડે અચાનક વિટપથી,
ગવન ઊડી જાતું એ રીતે પવનમાં.
અમસ્તી નથી થઈ આ કાયા મનોહર,
તપી'તી એ પ્હેલાં વિરહની અગનમાં.
હતાશામાં ડૂબી ઘણી કેદ પાંખો,
કદી જે હરખથી મહાલી ગગનમાં.
રડે છે એ ઘરમાં તિરસ્કૃત થઈને,
'હતી શી અધૂરપ અમારાં જતનમાં !'
અરે ! દોસ્તથી જ્યાં પરાજિત થયેલો,
મળી'તી શીતળતા એ મીઠી જલનમાં.
કબર થઈ જવું કે ચિતા થઈ દહાવું,
અમર થઈ ગયાં જે અડ્યા'તાં વચનમાં.
- મુકેશ દવે
જામનગર
તા. ૦૮/૦૯/૨૦૨૪, રવિવાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો