ગુરુવાર, 25 ઑગસ્ટ, 2016

પ્રતિકાવ્ય - આજના રાધા-કાન

(મુર્ધન્ય કવિ શ્રી પ્રિયકાંત મણિયારને પ્રસિદ્ધ રચના " આ નભ ઝૂક્યું તે કાનજી..." પર પ્રતિકાવ્ય દ્વારા વર્તમાન કાન-રાધાની પ્રસ્તુતિનો પ્રયત્ન.)

આજે જૂઓ આ કાનજી ને આધુનિક આ રાધા રે,
સીધોસાદો કાનજી ને ચપ્પટચાલાક રાધા રે.

બિલ ચૂકવે તે કાનજી ને શોપિંગ કરે તે રાધા રે,
વૈતરું કરે તે કાનજી ને મોજ ઉડાવે રાધા રે.....આજે.

પાટલી છે તે કાનજી ને વેલણ ફરે તે રાધા રે,
ખાંડણી રૂપે કાનજી ને દસ્તા રૂપે રાધા રે......આજે.

પોતા મારે તે કાનજી ને પગલાં પાડે તે રાધા રે,
બાબો રમાડે કાનજી ને ટીવી જૂએ રાધા રે....આજે.

ટિફીન ખાતો કાનજી ને હોટલમાં જમે રાધા રે,
ગાડી લૂછે તે કાનજી ને રોફ જમાવે રાધા રે......આજે.

આંખો ઝૂકે તે કાનજી ને આંખો બતાવે રાધા રે,
બેવડ વળી ગ્યો કાનજી ને મોં મચકોડે રાધા રે...આજે.

અંદર સળગે તે કાનજી ને કાંડી ચાંપે રાધા રે,
ટમટમ દીવો કાનજી ને હેલોઝન તે રાધા રે....આજે.

ખળખળ ઝરણું કાનજી ને ધોધ પડે તે રાધા રે,
શાંત સરોવર કાનજી ને ત્સુનામી તે રાધા રે.....આજે.
- મુકેશ દવે

ગીત : વાંસળીના સૂર્

વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે,
વાછરુંવછોઈ ઓલી ભાંભરતી ગાયો શી લાગણીઓ ખીલા વછોડે

ધમની ને શીરાઓ રાસલીલા લેતી
ત્યાં પ્રગટે નરસિંહની મશાલ,
મીરાનાં ઝાંઝરિયા છમછમછમ બાજે ને
અંતરમાં ગૂંજે કરતાલ,
આખુંય આકાશ હવે મારામાં ઉતર્યું ને પ્રસર્યું છે વૈકુંઠની જોડે... વાંસળીના સૂર.

ફૂંફાડા દેતો એ કાલીનાગ જંપ્યો
ઓલ્યા કંસનેય લાગી સમાધિ,
તનમનમાં નેહની નદી એવી ફૂટી કે
પ્રીતથી છલકાઈ ગયો જલધિ,
ધર્મક્ષેત્ર-કુરૂક્ષેત્ર સઘળું છું હું; એના ગીતાજ્ઞાન સંશયો ફોડે....વાંસળીના સૂર.
- મુકેશ દવે.