સૃજન: /
કાવ્ય રસ દર્શન: "અમે તો જીવીએ પુરાંત સાથે”
કવિ: મુકેશ દવે
રસદર્શન: શરદ ત્રિવેદી
ફોટોઝ અને રજુઆત:શરદ ત્રિવેદી
"૩૧મી માર્ચે એક હિસાબી ગીત"
આજે કાવ્ય રસ દર્શન માં કવિ મુકેશ દવે ની એક રચના રજૂ કરી રહ્યો છું. આમ તો મુકેશભાઈ માધ્યમિક શાળા, ક્રાંકચ માં પ્રિન્સિપાલ છે અને શાળાના શૈક્ષણિક સત્ર જૂન થી મે સાથે વર્ષોથી સંકળાયેલા છે. પરન્તુ 31 માર્ચ એન્ડિંગ માં ઇન્કમટેક્સ માટેના નાણાંકીય વ્યહવારોનો તાળો મેળવતા મેળવતા, જીવનના હિસાબોની ગણતરી કરી નાખી અને માંડ્યું સરવૈયું. જિંદગીના લેખા જોખા કરતા કરી નાખી એક રચના.
"અમે તો જીવીએ પુરાંત સાથે"
~~~~~~
કોઈ જીવે છે ખોટ ખાતાં; કોઈ જીવે છે લમસમ,
કોઈ જીવે છે લગભગ જેવું અંદાજા સંગાથે,
પણ અમે તો જીવીએ પુરાંત સાથે.
અંધારી કાજળકાળી કાળી રાતે
જ્યોતિ થઈ પથરાયા,
સૂકાં તરસ્યાં રણ વચાળે
નદી બની રેલાયા,
બળબળતી બપ્પોરી લૂમાં છાંયો ધરીએ માથે.....
એમ અમે તો જીવીએ પુરાંત સાથે.
વાવ્યું એટલું ઊગી નીકળ્યું
નેહના પાણી પીને,
ભરુંસાનું ખાતર નાખ્યું
મ્હોર્યું રાત્રિ - દિને,
લણ્યું એટલું ખૂબ વાવલી વહેંચ્યું છૂટા હાથે.
એમ અમે તો જીવીએ પુરાંત સાથે.
વગર મૂડીનો વેપાર માંડ્યો
વેચ્યા ફોરમ ફાયા,
ખોબે ખોબે દીધે રાખ્યું
જોખ કરે રઘુરાયા,
રોકડ ક્યાંયથી આવે નહીં 'ને માંડ્યું ના કોઈ ખાતે.....
તોય અમે તો જીવીએ પુરાંત સાથે.
- મુકેશ દવે
સંસારમાં સંબંધો સાચવવા અરસ પરસ વ્યહવારો કરાતા હોય છે, જેમાં ઘણાં પ્રેમ અને લાગણીથી તો, ઘણાં ફરજ નાં ભાગ રૂપે કે રીત રિવાજો નિભાવવા માટેના. આ સંબંધોમાં ઘણાં બધાં નો તાળો મેળવાતો નથી, તે નિભાવવા પડતા હોય છે. તેમ છતાં, જીવનના એક પડાવે, શાંત ચિત્તે વિચારતા જીવનમાં આપણે બદલામાં શું મેળવ્યું તેવી ગણતરી મૂકતાં મોટાભાગે નુકશાન જ હોય છે.
કવિ પોતાના જીવનના હિસાબો તપાસતા કહે છે કે લોકોના અંધકારમય જીવનમાં એક જ્યોતિ બની, રણમાં નદીના જળ અને બળબળતી લૂ માં છાંયડો બની રહ્યા છે. પોતાની પાસે છે તેને, સ્નેહ અને ભરોસા વડે વાવ્યું, આપ્યું છે અને બદલામાં જે મળ્યું તે, ઉપરાંત પોતાનું અંગત પણ વહેચ્યું છે. સેવા માટે કોઈ મોટી મૂડી ની જરૂર નથી. જેમ એક નાનકડો અત્તરનો ફાયો ચારે બાજુ પોતાની સુવાસ, ફોરમ ફેલાવે છે તેમ સેવા દ્વારા પોતાની સુવાસ મહેક ચારે બાજુ ફેલાવવાની સુંદર વાત કહી છે. આ બધો વ્યવહાર કેમ અને કેવી રીતે થાય છે તેનો હિસાબ ઈશ્વર ઉપર છોડી દીધો છે. તેના દ્વારા બધું ચાલે છે. તેના ભરોસાને લીધે જીવન વ્યહવાર નું સરવૈયું માંડતા, હિસાબમાં પુરાંત નીકળે છે.
ભગવદ્દ ગીતામાં ભગવાન કૃષ્ણે કર્મ નો સિદ્ધાંત કહ્યો
છે. કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ તે ફળ તો તમારે ભોગવવું જ પડે. એટલે કે કરેલાં કર્મો ભોગવવા જ પડે. આ સિદ્ધાંત ઉપર જ આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત પ્રચલિત થઈ છે : જેવું કરો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી ભરણી.
કવિએ ઉપર દર્શાવ્યું તેમ વિવિધ સતકર્મોનો ઉલ્લેખ પોતાની રચનામાં કર્યો છે અને તે બધા નો શ્રેય ઈશ્વર ઉપર છોડી દીધો છે. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી કાર્યો કર્યા છે અને તેનું સરવૈયું પણ તે જ રાખે છે. જેમાં ઈશ્વરે બદલામાં ઘણું આપ્યું છે તેવા સંતોષ સાથે તેઓ પુરાન્ત માં છે તેમ કહે છે. આમ કર્મનાં સિદ્ધાંત પોતાની રચના દ્વારા સુંદર રીતે સમજાવ્યો છે.
-શરદ ત્રિવેદી