બુધવાર, 29 એપ્રિલ, 2020

શેરનો આસ્વાદ - ગોપાલ ધકાણ

નથી મળતું પ્રણય ત્રિકોણમાં એ મધ્ય બિંદુ,
કોઈ ભીંસાય છે કાયમ અહીં બે જણ વચાળે.
- મુકેશ દવે.

પ્રણય કવિતાનો એવર ગ્રીન વિષય રહ્યો છે. સ્થાપિતથી લઈને આજ દિવસ સુધીના નવોદિત કવિએ આ વિષયને પોતપોતાના દ્રષ્ટિકોણથી જોયો છે અને શબ્દો વડે ભાવક સુધી પહોંચાડયો છે. પ્રણયમાં બે જણાની વાતથી ઉપર ઉઠી અહીં કવિ કોઈ નવલકથાના પ્લોટ જેવું વાતાવરણ ઉભું કરે છે.
પ્રણય ત્રિકોણ શબ્દ જ આ શેરની સુંદરતાનો ભાર પોતે ઊંચકી લે છે. ત્રિકોણ ત્રણ બિંદુ વડે રચાય છે. જે ત્રણ વ્યક્તિનું પ્રતીક છે. જેમાં એક વ્યક્તિ એવી છે જેની પાસે બે વિકલ્પ છે જ્યારે બાકીની બે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. આ ત્રણ જણ વચ્ચે એમનાં સંબંધોનું , લાગણીનું કેન્દ્ર બિંદુ વારા ફરતી ફર્યા કરે છે. કોઈ કેન્દ્ર સ્થાન ફિક્સ થતું નથી. જેને લીધે જે વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. એ એમનાં સ્થાને યોગ્ય છે. એમની લાગણીઓ , પ્રેમ વહાવે રાખે છે પણ જેની પાસે સામા બે વિકલ્પ છે જે બન્ને પોતપોતાના સ્થાન ઉપર યોગ્ય હોવાથી એ વ્યક્તિ આ બેમાંથી કોણ વધુ યોગ્ય એ બાબતે મુંજાય છે.
પ્રેમનું બીજું પાસું ત્યાગ છે. અહીં જો કે એવી કોઈ વાત કવિએ મૂકી નથી. પરંતુ આ ત્રણ બિન્દુમાંથી કોઈ એકને બાકી બન્નેના સુખ ખાતર સરી જવું યોગ્ય છે. માણસ હમેંશા વિકલ્પો મળતા મુંજારો અનુભવે છે. ખરો પ્રેમ પ્રિય પાત્રની ખુશી અને તેનું સુખ જોવાનો હોય છે. આપણને આ જવાબ વાસ્તવિક ઓછો અને ફિલ્મી વધુ લાગે એ શક્ય છે.
નથી મળતું શબ્દ જે તે વ્યક્તિની સતત મથામણ અને પ્રયત્નોને દર્શાવે છે. અહીં કેન્દ્ર બિંદુ શબ્દ મહત્વનો છે. જેની સાથે જોડાઈ શકાય અથવા જે પ્રણય ત્રિકોણની મુખ્ય વ્યક્તિ છે એ બન્ને અર્થ નીકળે. પરંતું જે કેન્દ્રમાં છે એ જ આ ભીંસ ભોગવી રહી છે. પોતે જ યથાયોગ્ય નિર્ણય લેવામાં પોતાની જાતને ધીમે ધીમે શિથિલ માનવા લાગે છે. જે તરફી ઢળવું છે તે માટે એને વિવેકબુદ્ધિ અને હૃદયની લાગણી બન્નેનો સુભગ સમન્વય સાધવો રહ્યો.
કવિએ બીજા મિસરામાં જે વાસ્તવિકતા મૂકી છે તે આંખ ખેંચે એવી છે. જ્યાં આવા પ્રણય ત્રિકોણ રચાય છે ત્યાં કોઈ એક વ્યક્તિને વલોણાની જેમ ભીંસમાં રહીને સમયને વલોવતું રહેવાનું છે. ત્યાંથી એ છટકી શકતી નથી.
મોટે ભાગે પ્રણય ત્રિકોણની શરૂઆતથી લઈને તેનો અંત પણ દુઃખદ હોય છે. ત્રણ બિંદુમાં ફરતો રહેતો પ્રણય કોઈ બે બિંદુ વચ્ચે સમય જતા પણ સ્થિર થતો નથી. તેથી સુખદ અંતની માત્ર આશા કરી શકાય પણ ખાતરી ન આપી શકાય. આ પ્રણય ત્રિકોણની પરિસ્થિતિમાં માણસ બાહ્ય કે આંતરિક દેખાવ, પ્રેમ કે દોસ્તી , સમૃદ્ધિ કે બુદ્ધિ ,પોતાના માટે વધુ યોગ્ય કે વધુ ફાયદાકારક જેવા પાસાઓને યોગ્ય રીતે મુલવતા શીખે છે.જે આગળ જતાં એના સંપૂર્ણ જીવનને પ્રભાવિત કરી શકે છે.
કવિશ્રી મુકેશ દવેને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
✒️ ગોપાલકુમાર ધકાણ - અમરેલી
તા. ૨૩/૦૪/૨૦૨૦, ગુરુવાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો