ડાળખીથી વિખૂટા થઈને શું થાય ? જરાં પૂછી લો ખરતાં એ પાનને,
લીલપને છાંડીએ તો કેવું જીવાય ? જરાં પૂછી લો તરસ્યા વેરાનને,
ધરતીથી મૂળિયાને અળગા કરીને જ્યારે
આભથીય ઊંચા થઈ ગ્યા'તા,
ઓતરાદા વંટોળની હડફેટ ચડીને પછી
ઊંધમૂંધ ભોંભરિયા થ્યા'તા,
માના પાલવને ત્યજવાથી કેવું તડપાય ? જરાં પૂછી લો તૂટ્યા યુવાનને.
સપનાં પર સપનાંઓ ગોઠવતાં ગોઠવતાં
ભીંતડાંમાં જીવતર ધબકાવ્યું,
વ્હાલપનાં લીંપણને લીંપીલીંપીને વળી
ફળિયાને મઘમઘ મ્હેકાવ્યું,
પછી લાગણીનો કાળ પડ્યે શું શું કરમાય ? જરાં પૂછી લો ખભળ્યાં મકાનને.
- મુકેશ દવે
અમરેલી
તા.૨૮/૦૮/૨૦૨૦, શુક્રવાર
સરસ..👌🏽👌🏽
જવાબ આપોકાઢી નાખો