શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020

જરાં પૂછી લો - ગીત

 

ડાળખીથી વિખૂટા થઈને શું થાય ?  જરાં પૂછી લો ખરતાં એ પાનને,

લીલપને છાંડીએ તો કેવું જીવાય ? જરાં પૂછી લો તરસ્યા વેરાનને,
 
ધરતીથી મૂળિયાને અળગા કરીને જ્યારે
આભથીય ઊંચા થઈ ગ્યા'તા,
ઓતરાદા વંટોળની હડફેટ ચડીને પછી
ઊંધમૂંધ ભોંભરિયા થ્યા'તા,
માના પાલવને ત્યજવાથી કેવું તડપાય ? જરાં પૂછી લો તૂટ્યા યુવાનને.

સપનાં પર સપનાંઓ ગોઠવતાં ગોઠવતાં

ભીંતડાંમાં જીવતર ધબકાવ્યું,
વ્હાલપનાં લીંપણને લીંપીલીંપીને વળી
ફળિયાને મઘમઘ મ્હેકાવ્યું,
પછી લાગણીનો કાળ પડ્યે શું શું કરમાય ? જરાં પૂછી લો ખભળ્યાં મકાનને.
- મુકેશ દવે
અમરેલી 
તા.૨૮/૦૮/૨૦૨૦, શુક્રવાર

1 ટિપ્પણી: