બુધવાર, 3 નવેમ્બર, 2021

ગઝલ - દ્વિરૂપ

 હું દુરાચારી અને હું સંત છું,
હું જ પામર જીવ 'ને ભગવંત છું.

ભાગ્યરેખા ના ઉગાડી તેં ભલે,
ભાગ્ય મારું સર્જવા બલવંત છું.

ના હણાતો આત્મા હણવા છતાં,
એટલે તો આદિ અને બેઅંત છું.

પ્હાડ પીડાનો ઉઠાવી લાવું છું,
હું જ લક્ષ્મણ ને વળી હનુમંત છું.

હાથ જોડીને તું ઊભો દ્વાર પર,
ગર્ભગૃહે હું જ મૂર્ત્તિમંત છું.
- મુકેશ દવે
પાંધ્રો તા.૧૮/૧૦/૨૦૨૧, સોમાવાર

ગાલગાગા લાલગાગા  ગાલગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો